એક શામ “સાહસિયો” કે નામ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ જમાવ્યો રંગ

સુરત: કુદરતી કે માનવસર્જિત આફત સમયે હમેશા દેશવાસીઓના સહયોગ માટે આગળ રહેતા સમાજના સાચા સહસીઓ ને સન્માનવાનો અનોખો કાર્યક્રમ આજરોજ સુરતના આંગણે આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસંઘ ગુજરાત દ્વારા “સાહસિયો” શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જીવ જોખમમાં મૂકીને પણ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવનાર સરકારના વિવિધ વિભાગોના 28 કર્મચારીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર કર્મચારીઓ અને તેમના પરિવારો સ્ટેજ પર જ ગદગદિત થઈ ગયા હતા અને હર્ષના આસું રોકી શક્યા ન હતા. સાથે જ કિર્તીદાન ગઢવીના ડાયરાએ ભારે રંગ જમાવ્યો હતો. ડાયરા થકી ભેગી થયેલી રકમ પણ સાહસિક કર્મચારીઓના કલ્યાણ અર્થે ખર્ચ કરવામાં આવશે.

આયોજન અંગે માહિતી આપતા પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટના નીતિનભાઈ કુમઠ અને વિશ્વ હિન્દુ મહાસંઘના નવીનભાઈ કુમઠ એ જણાવ્યું હતું કે શહેર અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને પ્રજાને સુવિધાઓ આપવા માટે વિવિધ વિભાગો કાર્યરત છે. જેમ કે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વીજ કંપની વગેરે. ત્યારે ખાસ કરીને ફાયર બ્રિગેડની વાત કરીએ તો આગ કે કોઈ મોટી હોનારત સમયે સામાન્ય માણસ જ્યારે દૂર ભાગે છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ તરફ દોડે છે. એટલે કે આગ બુઝવવા માટે જાય છે. ત્યારે ઘણી વખત ફાયર બ્રિગેડ ના જવાનો દાઝી જાય છે કે ગંભીર રીતે ઘાયલ થાય છે, આ જવાનો જાન ની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવે છે. તો ઘણી વખત વીજળીના થાંભલા પર કામ કરતા કે ટ્રાન્સફર ફીટ કરતી વખતે વીજ કરંટ લાગવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ દાઝી જતા હોય છે કે થાંભલા પરથી પડી જવાના કારણે પથારીવશ થઈ જતાં હોય છે. ત્યારે આવા સમાજના સાચા હીરોનું સન્માન કરવાનું આયોજન પ્રતિપાલના ચેરીટેબલ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવ્યું હતું “સાહસિયો” શીર્ષક હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ફરજ બજાવતી વખતે થયેલી ઈજાઓના કારણે શરીરના અંગો ગુમાવનાર વિવિધ વિભાગોના 28 જેટલા કર્મચારીઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને આર્થિક સહાય તરીકે રોકડ રકમ પણ આપવામાં આવી હતી. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે 6 વાગ્યાથી આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ગીતો પર રંગ જમાવ્યો હતો. જ્યારે ઘાયલ કર્મચારીઓ અને તેમના પરિવારોના સભ્યો ને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા સાથે જ ઉપસ્થિત સૌ લોકો પણ ને આ સાહસિક કર્મચારીઓ પર ગર્વ થયો હતો. આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે કિર્તીદાન ગઢવીના ડાયરા થકી જે પણ રકમ ભેગી થઈ છે તે પૂરેપૂરી રકમ પણ આ સાહસિક કર્મચારીઓના કલ્યાણ અને સહાય માટે ખર્ચ કરવામાં આવશે. આયોજક નવીન કુમઠે એવું પણ કહ્યું હતું કે સમાજ સેવાની દિશામાં સંસ્થાનું આ પહેલું આટલું મોટું કાર્ય હતું અને ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમો થકી સામાજિક ઉત્કર્ષ માટેના સિલસિલો જારી રાખવમાં અમો પ્રતિબદ્ધ છીએ.