ઓરો યુનિવર્સિટીમાં યોજાયો દીક્ષાંત સમારોહ, 367 વિદ્યાથીઓને ડિગ્રી એનાયત

સુરત: ઓરો યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ 7મી જાન્યુઆરી  2023 શનિવારના રોજ સાંજે 5.00 કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્લી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. યોગેશ સિંઘ હજાર રહ્યા હતાં. દીક્ષાંત સમારોહમાં કુલ 367 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ, ચાન્સેલર શ્રી હસમુખ પી. (એચ.પી.) રામાએ જણાવ્યું હતું કે ઓરો યુનિવર્સિટી દેશના યુવાઓના ભવિષ્ય માટે પરિવર્તનશીલ શિક્ષણ સંસ્થાની પ્રીમિયર પાથફાઇન્ડર છે. યુનિવર્સિટની સ્થાપના રામા પરિવાર દ્વારા કરવામાં આવી છે.  યુનિવર્સિટી શ્રી અરબિંદો અને માતાની દ્રષ્ટિ અને ઉપદેશોથી પ્રેરિત છે.  આ વર્ષે શ્રી ઓરોબિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે ઓરો કેમ્પસમાં ભવ્ય રીતે 10મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, “કોરોના રોગચાળા પછી પ્રથમ વખત ઓરો કેમ્પસમાં શારીરિક રીતે દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સાત શાખાના 367 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક તેમજ પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.  ગયા વર્ષે 348 વિદ્યાર્થીઓને  ઓનલાઈન માધ્યમથી ડીગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. 

આજરોજ યોજાયેલ દીક્ષાંત સમારોહમાં સ્કૂલ ઓફ બિઝનેસના 141, હોસ્પિટાલિટીના 50, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના 51, લિબરલ આર્ટ્સ એન્ડ હ્યુમન સાયન્સ 24, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના 25, લોના 38 અને સ્કૂલ ઓફ ડિઝાઇનના 20 વિદ્યાર્થીઓને વિવિધ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી.

 શ્રી રામે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે 191 વિદ્યાર્થી અને 170 વિદ્યાર્થીનીઓમાંથી 14 ને ગોલ્ડ તેમજ 25ને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે.