અનામી ફરિયાદ પાછળ કોર્પોરેટ હરીફાઈ હોવાનો તબીબોનો દાવો, ગુજરાત મેડિકલ કાઉન્સિલને નોટિસ
અમદાવાદ. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (જીએમસી) દ્વારા સુરતના જાણીતા ત્વચારોગ નિષ્ણાત ડૉ. જગદીશ સખીયા સહિત ત્રણ તબીબોને ૧૩ મહિના માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્થગિત રાખ્યો છે. હાઈકોર્ટે જીએમસીને નોટિસ ફટકારી આગામી ૮ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
જીએમસીએ ૩૦ જૂને સુરતના ડૉ. જગદીશ સખીયા, ડૉ. અમી શાહ અને અમદાવાદના ડૉ. ગીતા પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આદેશ મુજબ ત્રણેયના નામ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૭ સુધી સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાંથી દૂર રાખવાના હતા.
ડૉ. જગદીશ સખીયા હાલમાં ડર્માકોન ઇન્ટરનેશનલ 2027 ના આયોજન સેક્રેટરી છે. તેમના સહિત દેશભરના ૩૦ ત્વચારોગ નિષ્ણાતો સામે ૨૦૨૪માં એક મલ્ટિનેશનલ કંપનીના ખર્ચે મોનાકો અને પેરિસની મુલાકાત લેવાનો આરોપ મૂકાયો હતો. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) સમક્ષ થયેલી અનામી ફરિયાદના આધારે ગુજરાતના ત્રણ ડોક્ટરો સામે તપાસ કરવાની જવાબદારી જીએમસીને સોંપવામાં આવી હતી.
ત્રણેય તબીબોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેઓ કંપની દ્વારા આયોજિત એન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટના વિશેષ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. આ પ્રવાસનો હેતુ માત્ર તાલીમ મેળવવાનો હતો અને ત્યારબાદ ભારતમાં અન્ય તબીબોને તાલીમ આપવાની તેમની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

તબીબોના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે તાલીમ માટે થયેલા કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે કોઈપણ ડોક્ટર કંપનીની પ્રોડક્ટ્સ સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલા નથી અને તેઓ તેનો પ્રચાર પણ કરશે નહીં. વિશ્વભરમાંથી અંદાજે ૧૫ હજાર ડોક્ટરોએ આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયું હતું.
વકીલોએ વધુમાં દાવો કર્યો હતો કે એનએમસી સમક્ષ થયેલી અનામી ફરિયાદ પાછળ કોર્પોરેટ હરીફાઈ જવાબદાર હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સાથે જ જીએમસીએ દંડાત્મક કાર્યવાહી કરતા પહેલાં નિયમો મુજબની જરૂરી પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે જીએમસીના સસ્પેન્શનના આદેશ પર સ્ટે આપતાં કાઉન્સિલને નોટિસ જારી કરી છે .