જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી

કિરણ હોસ્પિટલ – સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર  દેશમાં જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિના મૂલ્યે સર્જરી.

જટીલ બીમારીથી પીડાતા ૧૦ વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે સર્જરી.-  *પદ્મશ્રી માથુરભાઇ સવાણી – ચેરમેન કિરણ હોસ્પિટલ

સુરત: સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે કિરણ હોસ્પિટલ સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે એક ભગીરથ પ્રયાસ થઇ રહ્યો છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તદુપરાંત જન્મજાત જટીલ બીમારી ઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા ખૂબ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના  અંતર્ગત ૧૦ વર્ષની ઉંમર સુધીના જટીલ બીમારીથી પીડાતા ૭૫૦ બાળકોને વિના મૂલ્યે સર્જરી અને સારવાર કરવામાં આવશે. દેશની જૂજ હોસ્પિટલો જ આવા જટીલ ઓપરેશનો કરવા સક્ષમ હોય છે. આવા ઓપરેશનોનો ખર્ચ ૨૫ લાખ સુધી થતો હોય છે. આવા જટીલ ઓપરેશનો કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ૪૩ વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે. કિરણ હોસ્પિટલની સેવા સમગ્ર દેશ ઉપરાંત અન્ય દેશોના લોક પણ લઇ રહ્યા છે. અતિ આધુનિક એવી કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટીલ બીમારીથી પીડાતા ૭૫૦ બાળકોને એક વર્ષમાં વિના મૂલ્યે સારવાર આપવાનો જે નિર્ણય લીધો છે તે ખૂબ જ પ્રશંશનીય છે.

કિરણ હોસ્પિટલ દ્વારા આ બાળકોની સર્જરીના ખર્ચને પહોચી વળવા મોટા ફંડની વ્યવસ્થા કરવી પડશે. કિરણ હોસ્પિટલ દ્વારા અનેક સેવાકીય કાર્યો સતત થતા હોય છે. દેશની એકમાત્ર હોસ્પિટલ હશે કે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે જટીલ બીમારીઓ થી પીડાતા ૭૫૦ બાળકોને વિના સર્જરી અને સારવાર કરવાનો નિર્ણય લીધો છે.

વધુમાં પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવે છે કે, કિરણ હોસ્પિટલમાં જટીલ બીમારી માટે પોતાના બાળકની વિના મૂલ્યે સારવાર લેવા માંગતા લોકોએ 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મહિના દરમિયાન થયેલ રજિસ્ટ્રેશનના આધારે ડોક્ટર દ્વારા બાળકોનું નિદાન થશે અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન કિરણ હોસ્પિટલની વેબસાઇટ www.kiranhospital.com પર પણ કરાવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો : ૯૭૨૬૪૩૨૦૪૮/ ૦૨૬૧- ૭૧૬૧૧૧૧, અથવા  inquiry@kiranhospital.com