સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન: ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની થીમ અને વડાપ્રધાનના જન્મદિને ૭૬ કિલોની કેક કપાશે

- ભટાર - અલથાણના કોમ્યુનિટી હોલમાં ગણેશ સ્થાપના સાથે દસ દિવસ સમાજસેવાના કાર્યોનું પણ થશે આયોજન

સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ ઉત્સવનું ૨૯મા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘મન્નત કા રાજા’ તરીકે વિખ્યાત આ ગણેશ મંડળ ખાતે દર વર્ષે શ્રદ્ધાળુઓ પોતાની બાધા-આખડી પૂરી થતાં વિઘ્નહર્તા દેવને મંગળમૂર્તિ અર્પણ કરે છે.

– ૨૯મા વર્ષે ‘સૂર્ય કોણાર્ક મંદિર’ની વિશેષ થીમ

સાઈરામ યુવક મંડળના આયોજક કમલ મેવાવાલાના જણાવ્યા અનુસાર, આ વખતે ગણેશ પંડાલમાં ઓડિશાના પ્રસિદ્ધ ‘સૂર્ય કોણાર્ક મંદિર’ ની આકર્ષક થીમ આધારિત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.
મનોકામના પૂર્ણ કરતા આ ગણરાજ છે જ્યાં છેલ્લા બે દિવસમાં લોકો કાનમાં તેઓની ઈચ્છા કહે. કહે છે. જે પૂરી થતાં શ્રદ્ધાળુઓ અહીં મંગળમૂર્તિ તેમજ સોના-ચાંદીના ઘરેણાં અને નંગના હાર અર્પણ કરતા હોય છે. દર વર્ષે અહીં ભક્તો દ્વારા ૮૦ થી ૧૦૦ જેટલી મંગળમૂર્તિઓ અર્પણ કરતા હોય છે, જ્યારે ગયા વર્ષે જ ૯૬ મંગળમૂર્તિઓ અર્પણ થઈ હતી.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ૭૬ કિલોની કેક અને ખાસ આયોજન

ગણેશોત્સવ દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સાઈરામ યુવક મંડળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનના ૭૬મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૭૬ કિલોની કેક કાપવામાં આવશે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ, કિન્નર સમાજ તેમજ સર્વધર્મ (હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ) ના લોકો દ્વારા ખાસ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવશે.

– નરેન્દ્ર મોદીથી લઈને વર્તમાન મુખ્યમંત્રી સુધીના મહાનુભાવો કરી ચૂક્યા છે દર્શન

સાઈરામ યુવક મંડળના આ ગણેશોત્સવનો ઈતિહાસ પણ ખાસ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૨માં, ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી તેમજ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ આ પંડાલમાં ગણપતિ બાપ્પાના દર્શનાર્થે આવી ચૂક્યા છે. સમગ્ર આયોજન દરમિયાન મંડળ દ્વારા ભક્તિ સાથે સમાજસેવાનો પણ સંદેશ આપવામાં આવે છે. દસ દિવસીય આ ગણેશોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, નોટબુક વિતરણ તેમજ સામાજિક સમરસતાને જોડતી વિવિધ મહાઆરતીઓનું આયોજન કરવામાં આવે છે.