ખરચ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ પાર્થેશ્વર શિવલિંગ સાથે ભવ્ય શિવભક્તિ મહોત્સવ યોજાયો હતો. આશ્રમ દ્વારા સતત ૧૧મા વર્ષે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

સમગ્ર આયોજન અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે સવારથી જ આશ્રમ ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી. ભગવાન શિવના ભજનો અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની ગયું હતું. સવા લાખ પાર્થેશ્વર શિવલિંગની વિશેષ પૂજા-અર્ચના સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ ભસ્મ આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભક્તોએ ભગવાન શિવના ચરણોમાં શાંતિ, લોકકલ્યાણ તેમજ સૌના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક વિધિઓ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.

આચાર્ય મનન પંડ્યાએ જણાવ્યું હતું કે દત્તાશ્રય આશ્રમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શ્રાવણ માસના પવિત્ર અવસરે શિવભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે ૧૧મા વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.