સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો
સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા
સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત વિશેષ હાજરી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી, જે જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ બલદાનિયાએ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાનાં-મોટાં વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્યો, પ્રભાવશાળી નાટિકાઓ, લોકનૃત્ય તેમજ દેશભક્તિભર્યા કાર્યક્રમોની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહેનતે હાજર રહેલા વાલીઓ તથા મહેમાનોને ભાવવિભોર કરી દીધા હતા.
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને દૃઢ સંકલ્પનું મહત્વ સમજાવી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ વાર્ષિક મહોત્સવ પ્રતિભા, સંસ્કાર અને ઉત્તમતાનો સુંદર સંગમ બની સૌ માટે યાદગાર બની રહ્યો હતો.