કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
- હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી
સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.