NG બ્રાન્ડની ધમાકેદાર વાપસી: 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે
- ચાર વર્ષ બાદ સુધીર ગોયલની મોટી જાહેરાત, ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે ગરીબોની સારવારથી લઈને 7-સ્ટાર હોસ્પિટલનું વિઝન
સુરત: શહેરના ફેશન અને બિઝનેસ ક્ષેત્રમાં ફરી એકવાર મોટો ઉછાળો આવવાનો છે. ઉદ્યોગપતિ સુધીર ગોયલે પોતાના NG બ્રાન્ડની વાપસી સાથે 29 એપ્રિલે સુરતમાં NG મોલ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ બાબત એ છે કે મોલમાંથી મળતા કુલ નફામાંથી 60 ટકા હિસ્સો સેવા કાર્યો માટે સમર્પિત રહેશે.
સુધીર ગોયલે જણાવ્યું કે તેમણે 16 જાન્યુઆરી 2021ના રોજ NG લેહેંગા બ્રાન્ડની શરૂઆત કરી હતી, જેને શરૂઆતમાં જ સારી પ્રતિસાદ મળ્યો હતો. જોકે કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ બદલાતાં તેમના બિઝનેસને મોટો ઝટકો લાગ્યો. તે સમય દરમિયાન તેઓ સામાજિક કાર્યોમાં પણ જોડાયા હતા અને લગભગ બે મહિના સુધી કોરોના સામેની પરિસ્થિતિમાં સક્રિય રહ્યા, જેના કારણે બિઝનેસ પર અસર પડી.
તેમણે પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે બ્રાન્ડ શરૂ થયા પછી તેઓ ખાટૂ શ્યામજીના દર્શન કરવા ગયા હતા, જ્યાં તેમણે જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવી. છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેમણે વિવિધ દેશોની મુલાકાત લીધી અને હવે ફરી સુરતમાં પાછા આવીને પોતાના બ્રાન્ડ મારફતે સેવા કાર્યોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
NG મોલની શરૂઆત સાથે જ ‘NG સેવા ટ્રસ્ટ’ની સ્થાપના પણ કરવામાં આવશે. આ ટ્રસ્ટ મારફતે નફાનો મોટો હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચવામાં આવશે. શરૂઆતમાં સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ જેવા સરકારી હોસ્પિટલોમાં એવા દર્દીઓને મદદ કરવામાં આવશે, જેમને આર્થિક મુશ્કેલીના કારણે સારવાર મળતી નથી.
આગામી સમયમાં સુધીર ગોયલનું મોટું સપનું 7-સ્ટાર હોસ્પિટલ બનાવવાનું છે, જ્યાં ગરીબોને સંપૂર્ણપણે મફત સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને તે માટે કોઈ સરકારી કાર્ડની પણ જરૂર નહીં પડે.
નવી ફર્મની ભાગીદારી અંગે તેમણે જણાવ્યું કે તેમાં 60 ટકા હિસ્સો તેમનો અને 40 ટકા તેમની પત્નીનો રહેશે. તેમનો સમગ્ર હિસ્સો ‘NG સેવા ટ્રસ્ટ’ મારફતે સેવા કાર્યોમાં ખર્ચવામાં આવશે, જે આ પ્રોજેક્ટને માત્ર બિઝનેસ નહીં પરંતુ સમાજસેવાના મોટા મિશન તરીકે ઓળખ અપાવશે.