કીર્તિદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલું ફિલ્મ ‘21 દિવસ’નું નવું સોન્ગ થયું રિલીઝ

લોકડાઉનમાં દરેક વ્યક્તિએ પરિવાર સાથે વિતાવેલા દિવસો તો જીવનભર ભૂલાઈ શકે તેમ નથી. એક પરિવાર લોકેડાઉનમાં કેવી સિચ્યુએશનલ કોમેડીમાં ફસાય છે અને તેમાંથી બહાર કેવી રીતે આવે છે તે વાતને આગવા અંદાજમાં રજૂ કરતી અને પ્રેમ ગઢવી,અદિતી વર્મા અને નિકિતા શાહ દ્વારા લિખિત ફિલ્મ ’21 દિવસ’ 7 એપ્રિલ, શુક્રવારના રોજ રિલીઝ થઈ રહી છે. ધ રેડ ફ્લેગ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ’21 દિવસ’ ફિલ્મમાં મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, પુજા ઝવેરી, પ્રેમ ગઢવી, રાજુ બારોટ, દીપા ત્રિવેદી, ભરત ઠક્કર, કલ્પેશ પટેલ, મનિષા ત્રિવેદી, કામિની પટેલ, પૂજા પુરોહિત, પ્રશાંત જાંગીડ જેવા ગુજરાતી સિનેમાના ખ્યાતનામ કલાકારોએ અભિનયનું ઓજસ પાથર્યું છે.
ફિલ્મ ’21 દિવસ’ના મ્યુઝિક સંગીતકાર પાર્થ ઠાકર છે અને સોન્ગ્સના લિરિક્સ નિર્દેશક કુશ બેન્કર દ્વારા જ લખવામાં આવ્યા છે. ફિલ્મના રિલીઝ કરવામાં આવેલા સોન્ગ ‘રોજ કરો મોજ કરો’ને કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કર્યું છે. જેમાં ફિલ્મના પાત્રો વચ્ચેની ખેંચતાણ અને કોમેડી સિચ્યુએશન જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને મળેલા પોઝિટિવ રિસ્પોન્સને જોતાં ગુજરાતના જાણીતા કોરિયોગ્રાફર કુશ બેન્કર નિર્દેશિત ફિલ્મ ‘21 દિવસ’ દર્શકોને પસંદ આવશે તે વાત નક્કી છે.
ફિલ્મ વિશે વાત કરતા ડિરેક્ટર કુશ બેન્કરે જણાવ્યું હતું કે, પેન્ડેમિક દરમિયાન જ્યારે મારી પાસે કોઈ એક્ટિવીટી ન હતી, મારા ડાન્સ ક્લાસ પણ બંધ હતા, ત્યારે મેં નક્કી કર્યું કે, મારે કોઈપણ રીતે એક્ટિવ રહેવું છે. એ સમય જ એવો હતો, જ્યાં ચોતરફ હતાશા અને નિરાશા જોવા મળતી હતી. મેં લોકોમાં સકારાત્મક્તા ઉદભવે તેવી પ્રવૃત્તિ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. જેના નિષ્કર્ષ તરીકે ફિલ્મ ‘21 દિવસ’ને દિગ્દર્શિત કરવાનું મેં નક્કી કર્યું હતું. ફિલ્મને એક સંપૂર્ણ મનોરંજન પેકેજ તરીકે દર્શકો માટે રજૂ કરવા માટે અનેક પાસાઓ પર ઝીણવટભર્યુ કામ કર્યું છે અને ફિલ્મ બનાવવા પાછળ સમગ્ર ફિલ્મ ટીમે ખૂબ જ મહેનત કરી છે.